સોમવારે બપોરે જૂની વીએસ હોસ્પિટલમાં આવેલા ઓર્થોપેડિક વિભાગના એન્ટ્રી રૂમનો સ્લેબ એકાએક ધડાકાભેર ધરાશાયી થયો હતો. જો કે, છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં રહેલા વિભાગના એન્ટ્રી રૂમ બંધ હોવાથી દુર્ઘટનાના સમયે ત્યાં કોઈ હાજર નહોતું. આથી મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ હવે આ મામલે રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, વી.એસ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર લેવા માટે આવે છે અને લઈ પણ રહ્યા છે ત્યારે હોસ્પિટલની હાલત એવી છે કે, ક્યારેય પણ તેમાં કાંઇ પણ થઇ શકે છે.
કોંગ્રેસના બીજેપી પર આકરા પ્રહાર
તેમણે કહ્યું કે, બીજી તરફ નજીકની એસવીપી હોસ્પિટલમાં ભાવ એટલા બધા છે કે, ગરીબ માણસ ત્યાં જવાનું વિચારી પણ શકતો નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ની માનસિકતા ગરીબ વિરોધી બની છે. વી. એસ હોસ્પિટલને જ્યારે બંધ કરવામાં આવી ત્યારે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. તે બાદ તેને ફરીથી શરૂ કરવામાં આવી હતી. આ જવાબદારી કોર્પોરેશનની છે એટલે તેમણે આ જવાબદારી લેવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી જૂની વીએસ હોસ્પિટલ જર્જરિત અવસ્થામાં છે.
હોસ્પિટલનો દરેક વિભાગ અને બિલ્ડિંગમાં પોપડા ગમે ત્યારે પડે તેવી પરિસ્થિતિમાં છે. ત્યારે હવે આ મામલો ગરમાતા હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે. જણાવી દઈએ કે, જૂની વીએસ હોસ્પિટલને પાડીને નવી બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ હોસ્પિટલને પાડી અને નવી બનાવવાનો મુદ્દો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને નિર્ણય પેન્ડિંગ છે.

