12 વર્ષ અગાઉ ગુમ થયેલા પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામનો યુવક ભાવનગરના વાવડી ગામેથી મળી આવતાં યુવાનનું પરિવારજનો સાથે 12 વર્ષ બાદ મિલન થતા ભાવિક દ્રશ્યો સર્જાયા હતા. પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના કરમશીભાઈ દેવીપુજકને 5 પુત્ર અને 2 પુત્રીઓ સહિત 7 સંતાનો છેેે. જે પૈકી ત્રીજા નંબરનો પુત્ર કૈલાશભાઈ દેવીપુજક (હાલ ઉ.40) આજથી બાર વર્ષ પહેલા ઘરેથી કોઈને કહ્યાં વગર નીકળી ગયો હતો. યુવકને શોધવા માટે પિતા સહિત પરિવારજનોએ ભારે શોધખોળ હાથ ધરી હતી.
અંદાજે એકથી દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ કોઈ જ પત્તો મળ્યો હતો. જે તે સમયે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન જાણવા જોગ નોંધ પણ કરાવી હતી. અંદાજે 12 વર્ષ બાદ ભાવનગર પંથકના વાવડી ગામથી ચંદ્રુમાણા ગામના પૂર્વ સરપંચ બાબુભાઈ પર ફોન આવ્યો કે તમારા ગામનું નામ લેતું કોઈ યુવાન આ ગામમાં છે તેમ કહેતાં તેમને હાલના સરપંચ શૈલેષભાઈ દેસાઈની જાણ કરી હતી.
શૈલેષભાઇ દેવીપુજક પરિવારનો સંપર્ક થઈ તેમનો પુત્ર ભાવનગર બાજુ હોવાનું ફોન આવ્યો છે અને વોટ્સએપ પર આવેલો ફોટો બતાવતા ગુમ થયેલા યુવાનના પિતાએ તેમના પુત્રનો જ ફોટો હોવાનું જણાવતા યુવાનના પિતા સહિત તેમના પરિવારજનો ભાવનગરના વાવડી ગામે પહોંચી યુવાનને પરત લઈ આવ્યા હતા. યુવાનના પરિવાર દ્વારા ભાવનગરના વાવડી ગામેથી યુવાને પરત લવાતાં આખું ગામ તેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. વાગતા ઢોલે સ્વાગત કરી યુવકને પોતાના ઘરે લઈ જવાયો હતો

