ભારત દેશમાં કેન્દ્રમાં જયારથી ભાજપની સરકાર આવી છે ત્યાર થી દેશની જનતાની કઠણાઈ બેસી ગઈ છે, કેન્દ્રની ભાજપ સરકાર દ્રારા કંઈક ને કંઈક નીતનવા ફતવાઓ બહાર પાડીને દેશની જનતાને લાઈનમાં ઉભા રાખવાનું કામ કરી રહી છે,
જેની પાછળનો હેતુ દેશની જનતા મૂળભૂત સમસ્યાઓ ભૂલીને લાઈનમાં ઉભા રહે, કેન્દ્રની ભાજપ સરકાર દ્રારા તાજેતર માં જ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવા માટેની છેલ્લી મુદત ૩૧ માર્ચ ર૦ર૩ આપવામાં આવેલ છે, ત્યાં સુધીમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવા માટે ૧૦૦૦ રૂપિયા પેનલ્ટી ભરીને કરી શકાશે મુદત વિત્યા બાદ લીંક કરાવવા માટે રૂપિયા ૧૦,૦૦૦ સુધીની મસમોટી આમ જનતા પાસેથી પેનલ્ટીના સ્વરૂપે ખીચ્ચામાંથી સેરવી લેવામાં આવશે.
જે મોદી સરકાર મનમોહનસિંહની સરકાર વખતે આધારકાર્ડનો વિરોધ કરતા હતા તે મોદી સરકાર આજે દરેક ક્ષેત્રમાં આધારકાર્ડ ફરજીયાત કરી રહી છે, ભારત દેશમાં કુલ ૬૧ કરોડ પાનકાર્ડ ધારકો છે જેમાંથી હજુ ૧૩ કરોડ પાનકાર્ડ ધારકોએ આધારકાર્ડ સાથે લીંક કરાવ્યા નથી, તો ભાજપ સરકારના આદેશ મુજબ ૩૧માર્ચ ર૦ર૩ સુધીમાં બાકી રહેલા ૧૩ કરોડ પાનકાર્ડ ધારકો આધારકાર્ડ સાથે સામાન્ય પેનલ્ટી રૂપિયા ૧૦૦૦ ભરીને લીંક કરાવે તો કેન્દ્રની ભાજપ સરકારને રૂપિયા ૧૩૦૦૦ કરોડ જેવી માતબર આવક થશે.
વાસ્તવમાં કેન્દ્રની ભાજપ સરકાર પાસે સરકાર ચલાવવા માટે અનામત ભંડોળ નથી માટે નવા નુસકાઓ અજમાવીને દેશની જનતાના ખીચ્ચા ખંખેરવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે, ભારત દેશમાં ગરીબી,બેરોજગારી જેવી અનેક સમસ્યાઓની વચ્ચે દેશની જનતા પાસે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે કોઈ ખાસ એવો આવકનો સ્ત્રોત નથી ત્યારે કેન્દ્રની ભાજપ સરકાર લોકોના ખીચ્ચા ખંખેરવાનું બંધ કરવાનું સૂચન અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કર્યું છે.

