મહેબૂબા મુફ્તીએ મંદિરમાં જઈને શિવલિંગમાં જળ ચઢાવ્યા બાદ નવો વિવાદ શરૂ થઈ ગયો છે. મહેબૂબા મુફ્તીના આ પગલા બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે કહ્યું કે આ મહેબૂબા મુફ્તીનું નવું ડ્રામા છે જેમણે હંમેશા પાકિસ્તાન અને આતંકવાદને સમર્થન આપ્યું છે.
કાલે પુંછ જિલ્લાના મંદિરની મુલાકાત લીધી હતી
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ગઈ કાલે પુંછ જિલ્લામાં નવગ્રહ મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મંદિરની પ્રદક્ષિણા કરી હતી અને શિવલિંગને જળ ચઢાવ્યું હતું. જે બાદ બીજેપી નેતા અલ્તાફ ઠાકુરે મહેબૂબાની મંદિરની મુલાકાતને રાજકીય ખેલ ગણાવીને તેને નાટક ગણાવ્યું હતું. અલ્તાફ ઠાકુરે કહ્યું કે મહેબૂબાએ હંમેશા આતંકવાદ અને પાકિસ્તાનને સમર્થન આપ્યું છે, હવે તે જમ્મુમાં વોટ મેળવવા માટે આ બધો ડ્રામા કરી રહી છે.
તેઓ ઈચ્છતા હતા કે હું મંદિરની અંદર જઈને જોઉં: મહેબૂબા મુફ્તી
આ મામલામાં પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ મંદિરની મુલાકાત પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, “આપણે લોકતાંત્રિક દેશમાં રહીએ છીએ. પૂંછમાં મંદિર બન્યું છે. તેઓ ઈચ્છતા હતા કે હું મંદિરની અંદર જઈને જોઉં. ત્યાં કોઈએ શ્રદ્ધાથી મારા હાથમાં જળનો લોટો આપ્યો કે તમે આના પર નાખો, તો નાખી દીધું, જો મેં જળ નાખી દીધું તો આ મારી બાબત છે તેના પર કોઈ વાદ-વિવાદ ન થવો જોઈએ.” તમને જણાવી દઈએ કે આ મંદિરનું નિર્માણ વર્ષ 2017માં મુફ્તી મોહમ્મદ સઈદ અને પીડીપી નેતા યશપાલ શર્માએ શરુ કર્યું હતું અને આ મંદિરના નિર્માણમાં પૂંછના લોકોએ મોટી ભૂમિકા ભજવી છે.

