જો તમે પણ થોડા દિવસોથી શરદી અને ઉધરસથી પરેશાન છો તો સાવધાન થઈ જાવ. દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાનું સંક્રમણ હવે ઘાતક બની ગયું છે. દેશભરમાં અત્યાર સુધીમાં 3 હજારથી વધુ સંક્રમિત મળી આવ્યા છે, જેમાંથી બે લોકોના મોત થયા છે. મામલાની ગંભીરતાને જોતા આજે નીતિ આયોગ અને રાજ્યોની બેઠક મળવાની છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા અગાઉથી જ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં જાન્યુઆરીમાં 1,245, ફેબ્રુઆરીમાં 1,307 અને માર્ચમાં 486 સંક્રમિત જોવા મળ્યા છે. તેમાંથી હરિયાણા અને કર્ણાટકના એક-એક દર્દીનું મોત થયું છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોને સતર્ક રહેવા અને સતત નજર રાખવા જણાવ્યું છે. આ સંદર્ભમાં આજે રાજ્યોના આરોગ્ય વિભાગો સાથે નીતિ આયોગની બેઠક પણ થવાની છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે એડવાઈઝરી જારી કરી
આ સિવાય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ગભરાવાની જરૂર નથી. રાજ્યના તકેદારી અધિકારીઓ આ પડકારને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે H3N2 થી બચવા માટે માત્ર કોવિડ પ્રોટોકોલનું પાલન કરો. એટલે કે, માસ્ક પહેરો, તમારા હાથને સેનિટાઈઝ કરો અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે H3N2 માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા મંજૂર કરાયેલી દવા Oseltamivir સરકાર દ્વારા મફત આપવામાં આવે છે. તે રાજ્યો પાસે પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. એવી અપેક્ષા છે કે માર્ચના અંત સુધીમાં તેના કેસમાં ઘટાડો થશે.

