જનઔષધિ યોજના વિશે જન-જાગૃતિ વધારવા અને જેનેરીક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૭ મી માર્ચને “જન ઔષધિ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષનો જન ઔષધિ દિવસ “જન ઔષધિ સસ્તી ભી, અચ્છી ભી”ની થીમ સાથે ઉજવવામાં આવનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧ જુલાઈ, ૨૦૧૫ના રોજ પ્રધાનમંત્રી જનઔષધિ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના એ ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગની મુખ્ય યોજના છે. આ યોજનામાં સરકાર દ્વારા ઉચ્ચ ગુણવત્તાની જેનરિક દવાઓ બજાર ભાવથી ઓછા ભાવે જાહેર જનતાને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા ‘જન ઔષધિ સ્ટોર્સ’ મારફતે જેનરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
લોકોને ગુણવતાયુકત જેનરિક દવાઓ ઓછા ભાવે પુરી પાડીને જન ઔષધિ કેન્દ્રોએ સામાન્ય લોકોને સારવારમાં મદદરૂપ બની નોંધપાત્ર અસર કરી છે. આ જન ઔષધિ કેન્દ્રો પર અપાતી દવાઓ બહાર મળતી દવાઓ કરતા પ૦ % ઓછા ભાવમાં ઉપલબ્ધ હોય છે અને બ્રાન્ડેડ દવાઓની સરેરાશ બજાર કિંમત કરતા ૮૦-૯૦% જેટલી સસ્તી હોય છે.
રાજકોટ જિલ્લામાં હાલ સુધીમાં ૫૮ જનઔષધિ કેન્દ્રો કાર્યરત છે. જેનો રોજ લાખો લોકો લાભ લઈ રહ્યા છે. આ વર્ષના જન ઔષધિ દિવસની ઉજવણી અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૧ માર્ચ, ર૦ર૩ થી ૭ માર્ચ, ર૦ર૩ સુધી સાપ્તાહિક જાગૃતિલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
જાગૃતિ સપ્તાહ અંતર્ગત તા.૧ માર્ચના રોજ જિલ્લામાં બે જન ઔષધિ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રથને નાયબ જિલ્લા વિકાસ અધિકારી કાલરીયા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, મહિલા અને બાળ વિકાસ વિભાગ ચેરમેનના પ્રતિનિધિ રાજુભાઇ ચાવડા તથા મિતેશ પંડ્યા આસી. મેનેજર પીએમબીઆઇ ગુજરાત દ્રારા લીલી ઝંડી આપી રવાના કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સપ્તાહની ઉજવણી અંતર્ગત તા.૦૨ માર્ચના રોજ દરેક PHC કક્ષાએ અને તાલુકા કક્ષાએ સ્ટોર ધારક, ડોક્ટર, નર્સ, પેરામેડિક્સ વોલ્ન્ટીયર પદ યાત્રામાં જોડાયા હતા. અને pledge mygov.in ની લિન્ક પર શપથ લીધા હતા.તા. ૦૩ માર્ચના રોજ દરેક તાલુકા કક્ષાએ અને સ્ટોલ ધારક તરફથી મહિલાઓને કીટ આપી, પ્રતિકરૂપે બે મહિલાનું સન્માન કરવાનું આયોજન છે. જેઓ તેનો પ્રતિભાવ આપી અન્યને પ્રેરણા આપશે.
તા.૦૪ માર્ચના રોજ દરેક તાલુકાની એક શાળા ખાતે જન ઔષધિની જાણકારી આપવા ચિત્ર સ્પર્ધા, જિંગલ સાથે બાળકો દ્વારા નૃત્યનો કાર્યક્રમ યોજાશે. તા.૦૫ માર્ચના રોજ દરેક તાલુકા કક્ષાના જન ઔષધિ સ્ટોર ખાતે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાશે. તા.૦૬ માર્ચના રોજ દરેક તાલુકામાં ફાર્મસી/પેરામેડિકલ અન્ય કોલેજોમાં સ્ટોલ ધારક જન ઔષધિ કાર્યક્રમની ઉપલબ્ધિઓ અંગે સેમિનાર – પીપીટી દ્વારા સંપુર્ણ માર્ગદર્શન આપશે.તા.૦૭ માર્ચના રોજ જિલ્લા કક્ષાએ જાગૃતિ કાર્યક્રમ યોજાશે.

