જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. જ્યારે તેમણે ભાજપને મુઘલોની સંતાન કહ્યું તો તો તેના પર આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ વળતો જવાબ આપ્યો. તાજેતરમાં એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે મહેબૂબા મુફ્તી પર આકરા પ્રહારો કર્યા.
સીએમ હિમંતાએ કર્યો મહેબૂબા મુફ્તી પર વળતો પ્રહાર
જયારે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાને મહેબૂબા મુફ્તી દ્વારા આપવામાં આવેલા નિવેદન વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું, “મહેબૂબા મુફ્તીને ક્યાંથી ખબર પડી કે ભાજપ મુઘલોની સંતાન છે. અમે લોકો તો મુઘલોના ઇતિહાસને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મુઘલોનું સપનું તો તેમના જ મગજમાં છે, અમે એવું નથી વિચારતા.”
નીતીશ કુમાર પર આસામના સીએમએ કર્યા પ્રહારો
પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું કે બિહારના સીએમ નીતીશ કુમારે દાવો કર્યો છે કે કોંગ્રેસ સાથે આવવાથી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ 100 સીટો પર સમેટાઈ જશે? આસામના સીએમએ નીતીશ કુમાર પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ એવા નેતા છે, જે કોઈનો હાથ પકડ્યા વગર ચાલી શકતા નથી. તેમને ઓક્સિજનમાં જીવવાની આદત પડી ગઈ છે. કોંગ્રેસ પાસે ઓક્સિજનની માંગ કરીને તેઓ સૌથી મોટી ભૂલ કરી રહ્યા છે.
પોતાની વાત આગળ વધારતા તેમણે કહ્યું કે જેમની પાસે ઓક્સિજન નથી તે બીજાને ઓક્સિજન ક્યાંથી આપી શકશે. ભારત જોડો યાત્રા ભાગ 2 ના પ્રશ્ન પર, આસામના સીએમએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું, “તેમણે યાત્રાને એક કસરત જેવી બનાવી દીધી છે, આ બધું ફક્ત તેમના અંગત મનોરંજન માટે કરવામાં આવી રહ્યું છે.”
તમને જણાવી દઈએ કે જમ્મુના પ્રવાસે પહોંચેલી મહેબૂબા મુફ્તીએ મુઘલોનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે કોઈ દુશ્મન નથી મળતો ત્યારે આ લોકો મુગલોની વાત કરે છે. જેઓ મોગલોની સૌથી વધુ વાત કરે છે, તેઓ મુઘલોના સંતાનો લાગે છે.

