જૂનાગઢના ભવનાથ ખાતે 15 ફેબ્રુઆરીના મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે. મેળાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.દરમિયાન મેળામાં આવનાર ભાવિકોને પ્રાથમિક સુવિધા તેમજ સુરક્ષાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે. જ્યારે મેળામાં આવનાર લાખોની સંખ્યાના ભાવિકોને ભોજન પીરસવાની સેવા વિવિધ અન્નક્ષેત્રો ઉતારા મંડળો સેવાભાવી સંસ્થાઓ અને આશ્રમો દ્વારા કરવામાં આવે છે.
મેળામાં આવનાર ભાવિકોને વિવિધ પ્રકારના ભાવતા ભોજનિયા મળી રહે તે માટે સેવા ભાવિ સંસ્થાઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે .આમાં ખાસ કરીને રોટલી, રોટલા, દાળ, ભાત, શાક, સંભારો, કઢી ખીચડી જેવા ભોજન તો ખરા જ સાથે દેશી ઘીનો મોહનથાળ, સ્ટીમ ઢોકળા, ઊંધિયું પૂરી, ભજીયા, જલેબી, ગાંઠિયા, બટેટા પૌવા, પુલાવ જેવી અનેક વાનગીઓનો સ્વાદ ભાવિકો લઈ શકશે. અનેક સ્થળોએ અન્નક્ષેત્રની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે કેટલાક અન્નક્ષેત્રો ધમધમતા થયા છે. જેમાં તો ભાવિકોને ભોજન પીરસવાનું પણ શરૂ કરી દેવાયું છે .આમ, ભોજન ભજન અને ભક્તિના આ મેળામાં તમામ તૈયારીઓ હવે પૂર્ણતાના આરે પહોંચી છે.

