ગાંધીનગરના રૂપાલ પાસે રવિવારે મોડી રાતે ત્રણ બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અંગે સ્થાનિક પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગાંઘીનગરના રૂપાલ પાસે આવેલા સોનીપુર ગામમાં રહેતા સાહિલ ઠાકોર તેમના મિત્ર શૈલેષ ઠાકોર અને સાધુભાઈ સાથે ચાંદીસણા ગામે ગયા હતા. ત્યાં ખેતરમાં પાણી વાળવાનું કામ પતાવી ત્રણે રવિવારની મોડી રાતે એક બાઈક પર ઘરે પરત આવી રહ્યા હતા. દરમિયાન રૂપાલ નજીક સોનીપુર તરફથી બે બાઇક આવી રહી હતી. અચાનક ત્રણેય બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. ત્રણેય બાઇક સવાર સહિત અન્ય લોકો નીચે પટકાયા હતા.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ અકસ્માત થતા સ્થાનિક લોકો ભેગા થયા હતા અને ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાહિલને ખબર પડી કે તેમના મિત્ર શૈલેષ ઠાકોરનું મોત થયું છે. જ્યારે અન્ય બે બાઇક પર સવાર અશોક ઠાકોર અને કાળુ ઠાકોરનું પણ ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હોવાની જાણ થઈ હતી. આ અગે પેથાપુર પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

