વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા.૧૨ થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે. શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાં મહોત્સવના આયોજન અંગે પાલનપુર ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.. રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જેના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાની જેમ યાત્રાધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું આયોજન લાખો શ્રધ્ધાળુઓની ધાર્મિક આસ્થાને નવી ઊંચાઈ આપશે.

આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળશે.જેના લીધે આ મહોત્સવમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી સહિતના જીલ્લાઓમાંથી લોકો પરિક્રમાનો લાભ લેશે.

