સિરાજના તોફાન સામે શ્રીલંકા 73 રનમાં સમેટાઈ ગયું, ભારતે વનડેમાં નોંધાવી ઐતિહાસિક જીત
ભારતે ત્રીજી ODIમાં શ્રીલંકાને 317 રનથી હરાવીને ત્રણ મેચની શ્રેણી 3-0થી કબજે કરી હતી. શ્રીલંકાને મેચમાં જીતવા માટે 391 રનનો લક્ષ્યાંક હતો, પરંતુ તેની આખી ટીમ 22 ઓવર સાથે 73 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. થયું એવું કે, શ્રીલંકાનો છેલ્લો ખેલાડી ઈજાના કારણે બેટિંગ કરવા આવ્યો ન હતો.
આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવી દીધું છે. ટીમ ઈન્ડિયા વનડે ઈતિહાસમાં રનના મામલે સૌથી મોટી જીત મેળવનારી ટીમ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે હતો જેણે વર્ષ 2008માં આયર્લેન્ડને 290 રનથી હરાવ્યું હતું. એટલે કે પ્રથમ વખત કોઈ ટીમ ODIમાં 300 પ્લસ રનથી જીતી.
શ્રીલંકાની ઈનિંગ્સ શરૂઆતથી જ ખતરામાં હતી. તેણે પ્રથમ દસ ઓવરમાં જ તેની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ પાંચ વિકેટોમાંથી ચાર વિકેટ મોહમ્મદ સિરાજે લીધી હતી. પાવર પ્લે પછી પણ શ્રીલંકન ટીમની વિકેટ સતત પડતી રહી અને તેણે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

