સુપ્રીમ કોર્ટમાં અરજદારનો હોબાળો: હવામાં કાગળો ઉછાળ્યા, CJI વિશે અભદ્ર ભાષા વાપરી
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ત્યારે ભારે હોબાળો મચી ગયો જ્યારે એક અરજદારે જોરદાર હંગામો કર્યો અને સીજીઆઈ (CJI) સૂર્યકાંત વિશે અપશબ્દો પણ કહ્યા. પોલીસે અરજદારને કસ્ટડીમાં લઈ લીધો છે. અરજદાર પોતે વકીલ વગર વ્યક્તિગત રીતે (Party-in-person) કોર્ટમાં હાજર થયો હતો. અને ત્યારબાદ તેણે જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ આલોક અરાધેની બેંચ સમક્ષ સુનાવણી દરમિયાન ભારે હોબાળો મચાવ્યો હતો. પોતાને “સાર્વભૌમ” (Sovereign) ગણાવતા આ અરજદારે કોર્ટરૂમમાં કાગળો હવામાં ઉછાળ્યા હતા. અને ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. આ ઘટના બાદ તેને કોર્ટરૂમની બહાર લઈ જવામાં આવ્યો હતો..અને પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. દિલ્હી પોલીસ હાલ તેની પૂછપરછ કરી રહી છે.
સુપ્રીમ કોર્ટમાં ક્યારે બની આ ઘટના?
સુપ્રીમ કોર્ટમાં આ ઘટના શુક્રવારે સવારે લગભગ 11 વાગ્યે જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ આલોક અરાધેની બેંચ સામે બની હતી. અરજદાર, જેની ઓળખ પ્રબલ પ્રતાપ તરીકે થઈ છે. તે બેંચ સમક્ષ હાજર થયો અને પોતાને સાર્વભૌમ ગણાવ્યો હતો. જજોને “ન્યાયિક સેવક” કહીને સંબોધતા તેણે કહ્યું, “મિસ્ટર ન્યાયિક સેવક, હું તમને આદેશ આપું છું કે તમે લખનૌના ASP વિરુદ્ધ સાયબર ક્રાઈમ સિન્ડિકેટ ચલાવવા બદલ FIR નોંધવાનો આદેશ આપો.”
આશ્ચર્યચકિત થઈને જજે શું કહ્યું?
અરજદારની આ વાતો સાંભળીને આશ્ચર્યચકિત થયેલા જસ્ટિસ કે.વી. વિશ્વનાથને અવિશ્વાસ સાથે તેને પૂછ્યું, “તમે મને આદેશ આપી રહ્યા છો? તમે અમને આદેશ આપી રહ્યા છો?” જોકે, ત્યારબાદ પણ અરજદારે ભારતના મુખ્ય ન્યાયાધીશને અપશબ્દો કહ્યા અને હવામાં કાગળો ફેંકીને સુનાવણીમાં અવરોધ ઊભો કર્યો હતો. કોર્ટના સુરક્ષાકર્મીઓએ તરત જ દરમિયાનગીરી કરી અને તેને કોર્ટરૂમમાંથી બહાર કાઢી મૂક્યો હતો. ત્યારબાદ તેને થોડા સમય માટે કોર્ટ રૂમની અંદર જ આવેલા DSPની ઓફિસમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
અરજદારના આટલા મોટા હોબાળા છતાં, બેંચે તેની વિરુદ્ધ કોર્ટની અવમાનના (Contempt of Court) કે અન્ય કોઈ શિક્ષાત્મક પગલાં ન લેવાનો નિર્ણય કર્યો હતો. આદેશ સંભળાવતા જસ્ટિસ વિશ્વનાથને કહ્યું, “અમે તેની સામે કોઈ પગલાં લેવાનો ઈરાદો ધરાવતા નથી. જ્યાં સુધી કેસના ગુણદોષનો સવાલ છે, અમે રેકોર્ડ જોઈ લીધા છે. અમને નીચલી અદાલતના આદેશમાં દખલ કરવાનો કોઈ મજબૂત આધાર મળ્યો નથી. તેથી સ્પેશિયલ લીવ પિટિશન (SLP) ફગાવવામાં આવે છે.” જજે વધુમાં ઉમેર્યું કે, “તે ખૂબ જ પરેશાન છે… આ બધું નિરાશાને કારણે છે. અમારી સહાનુભૂતિ તેની સાથે છે.”
શું હતો સમગ્ર મામલો?
અરજદારે અલ્હાબાદ હાઈકોર્ટના એ આદેશને પડકાર્યો હતો. જેમાં લખનૌના સ્પેશિયલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (કસ્ટમ્સ)ના નિર્ણય વિરુદ્ધની તેની રિટ પિટિશન ફગાવી દેવામાં આવી હતી. મેજિસ્ટ્રેટે FIR નોંધવાનો આદેશ આપવાને બદલે તેની અરજીને ખાનગી ફરિયાદ (Private Complaint) તરીકે ગણવાનો નિર્દેશ આપ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટના આદેશ સામે અરજદાર પાસે અસરકારક વૈકલ્પિક કાનૂની માર્ગ ઉપલબ્ધ છે અને તેને યોગ્ય ફોરમમાં જવાની છૂટ આપી હતી. હાઈકોર્ટના આ નિર્ણયમાં દખલ કરવાનું કોઈ કારણ ન જણાતા, સુપ્રીમ કોર્ટે આ સ્પેશિયલ લીવ પિટિશન ફગાવી દીધી હતી અને મામલો પૂરો કર્યો હતો.
- Advertisement -
- Advertisement -