લાહોરમાં ટ્યુશન ક્લાસની છત તૂટી પડતા 14 બાળકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા
પાકિસ્તાનના લાહોરમાં મંગળવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. એક નિર્માણાધીન (અધૂરી બનેલી) ઇમારતમાં ચાલી રહેલા પ્રાઇવેટ ટ્યુશન સેન્ટરની છત તૂટી પડતાં ઓછામાં ઓછા ૧૪ બાળકોના મોત થયા છે અને ૨૦થી વધુ બાળકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે, ગીચ વસ્તી ધરાવતા કાહના નઉ વિસ્તારમાં આવેલી આ એકેડેમીમાં ૭ થી ૧૩ વર્ષની વયના ૩૦ થી વધુ બાળકો ભણી રહ્યા હતા. ત્યારે અચાનક છત તૂટી પડી હતી અને બાળકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
કાટમાળ નીચે દબાયેલા લોકોની શોધખોળ ચાલુ
લાહોરના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (ઓપરેશન્સ) ફૈઝલ કામરાને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે,
“અત્યાર સુધી કાટમાળમાંથી ૧૪ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલ થયેલા ૨૦ બાળકો અને એક મહિલા શિક્ષિકાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાટમાળમાં ફસાયેલા અન્ય લોકોને શોધવા માટે બચાવ ટીમ સતત ઓપરેશન ચલાવી રહી છે.”
કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી
પોલીસ અધિકારી કામરાને જણાવ્યું કે, ઇમારતનો એક ભાગ નિર્માણાધીન હતો અને જ્યારે છત પડી ત્યારે મજૂરો કામ કરી રહ્યા હતા. અમે આ કામના કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી લીધી છે. લાહોર જિલ્લા શિક્ષણ સત્તામંડળના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તારિક મહમૂદે જણાવ્યું કે આ ઇમારતમાં વિસ્તારની જ એક મહિલા દ્વારા ખાનગી ટ્યુશન સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું. ઈધી ફાઉન્ડેશને જણાવ્યું કે, કાહના નઉ વિસ્તારની ઈદગાહ વસાહતમાં આવેલી રહેણાંક ઇમારતમાં ચાલી રહેલી આ એકેડેમીની છત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી.
મૃત્યુઆંક હજુ વધી શકે છે
બિન-સરકારી સંસ્થા (NGO) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “મૃતકોના શબને જનરલ હોસ્પિટલના પીએમ રૂમ (શવગૃહ) માં મોકલી દેવામાં આવ્યા છે.” સાથે જ સંસ્થાએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે, કારણ કે કેટલાક બાળકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે. સંસ્થાએ જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે અને ઘટનાસ્થળે ઈધી ફાઉન્ડેશનની એમ્બ્યુલન્સ તૈનાત છે, જે તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી રહી છે.
સીએમ મરિયમે ગુનેગારો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા
પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને આ અકસ્માત માટે જવાબદાર લોકોને શોધી કાઢી તેમની સામે ગુનાહિત કાનૂની કાર્યવાહી શરૂ કરવા નિર્દેશ આપ્યા છે. પ્રાંતીય આરોગ્ય અધિકારીઓએ લાહોર જનરલ હોસ્પિટલમાં કટોકટી (ઇમરજન્સી) જાહેર કરી દીધી છે અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, ડોક્ટરો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફને ઘાયલોની તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.
- Advertisement -
- Advertisement -