ગાંધીનગર લોકભવનમાં શ્રીરામકથાનો દ્વિતીય દિવસ: રામ જન્મોત્સવ અને સંસ્કારોના મહિમાથી ગુંજી ઉઠ્યું વાતાવર
ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાના બીજા દિવસે ભક્તિ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે પ્રભુ શ્રીરામના જન્મોત્સવ, દિવ્ય બાળપણ અને જીવન ઘડતરમાં સંસ્કારોના મહત્વનું અત્યંત ભાવવાહી વર્ણન કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

કથાના પ્રારંભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી હેતલબેન પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. અને વ્યાસપીઠ પર બિરાજમાન આચાર્ય શ્રી કુલદીપજી મહારાજનું ફૂલહારથી ભાવભેર સન્માન કર્યું હતું.


સંસ્કારોનું સિંચન એ જ માતા-પિતાની સર્વોચ્ચ જવાબદારી: આચાર્ય કુલદીપજી
કથાવાચક આચાર્યશ્રીએ વ્યાસપીઠ પરથી સંસ્કારોના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, રાજા દશરથ દ્વારા કરવામાં આવેલો પુત્રેષ્ઠિ યજ્ઞ એ ભારતીય સંસ્કૃતિની ભવ્ય યજ્ઞ પરંપરાનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું કે, જન્મથી દરેક મનુષ્ય માત્ર એક સામાન્ય જીવ હોય છે. પરંતુ શ્રેષ્ઠ સંસ્કારો દ્વારા જ તે સાચા અર્થમાં ‘દ્વિજ’ (શ્રેષ્ઠ મનુષ્ય) બને છે. શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના જીવન ચરિત્રમાંથી પ્રેરણા મેળવીને દરેક માતા-પિતાએ પોતાના સંતાનોમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવું જોઈએ. કારણ કે સંસ્કારી નવી પેઢી જ મજબૂત સમાજ અને રાષ્ટ્રનો સાચો આધાર બને છે.

સનાતન સંસ્કૃતિની રક્ષા કાજે સંતોનું પ્રદાન અજોડ
કથા દરમિયાન પ્રભુ શ્રીરામ અને મહર્ષિ વિશ્વામિત્રના દિવ્ય પ્રસંગનો ઉલ્લેખ કરીને આચાર્યશ્રીએ સનાતન સંસ્કૃતિના રક્ષણની અનિવાર્યતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે યાદ અપાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણ, આચાર્ય ચાણક્ય, ગુરુ ગોવિંદસિંહજી અને મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવા મહાન યુગપુરુષો અને સંતોએ આપણી સંસ્કૃતિ અને રાષ્ટ્રના રક્ષણ માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું હતું. જે આપણા સૌ માટે સદાય પ્રેરણારૂપ છે.
કથાના ઉત્તરાર્ધમાં આચાર્યશ્રીના પરિવારજનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા ઓજસ્વી દેશભક્તિના ગીતો અને મધુર ભજનોથી સમગ્ર લોકભવનનું વાતાવરણ દેશભક્તિ અને ભક્તિરસના દિવ્ય આનંદમાં ગરકાવ થઈ ગયું હતું. આ ભક્તિમય અવસરે વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો, સામાજિક આગેવાનો અને વિશાળ સંખ્યામાં પધારેલા નગરજનોએ કથા શ્રવણનો લહાવો લીધો હતો.
- Advertisement -
- Advertisement -