લાંચિયા બાબુઓ ACBની જાળમાં: ₹4 લાખના એરિયસ બિલ પાસ કરવા ₹45 હજારની લાંચ લેતા 3 આરોપીઓ ઝડપાયા.
ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતા લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ આજે એક મોટું ઓપરેશન પાર પાડીને ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળની ઓફિસના આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર (AAO) સહિત ત્રણ વ્યક્તિઓને રૂ. 45,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
ઝડપાયેલા આરોપીઓની વિગત:
-
રવિકુમાર સુરેશકુમાર જાંગીડ (વર્ગ-2): આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર, ઝોનલ એકાઉન્ટ ઓફિસ,મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ, રાજકોટ.
-
શૈલેષ કે.ચૌહાણ: નિવૃત્ત ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર, રહે. ભુજ (વચેટિયા તરીકેની ભૂમિકા).
-
અક્ષયભાઇ શૈલેષભાઇ વાગડીયા: કન્ટીજન પટાવાળા, ઇન્કમટેક્ષ ઓફિસ, રાજકોટ (સ્થળ પર લાંચ સ્વીકારનાર).
ઘટનાની વિગત:
આ કેસની વિગત એવી છે કે,એક જાગૃત નાગરિકનું રૂ. 4 લાખનું એરિયસ બિલ મંજૂર કરવાનું બાકી હતું. આ બિલ પાસ કરવાના બદલામાં આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર રવિકુમાર જાંગીડે બિલના 20% લેખે રૂ. 80,000 ની લાંચની માંગણી કરી હતી.લાંબી રકઝક બાદ રૂ.50,000 આપવાનું નક્કી થયું હતું.જેમાંથી રૂ. 5,000 આરોપીએ અગાઉ એડવાન્સમાં લઈ લીધા હતા.
બાકીના રૂ. 45,000 લેવા માટે આરોપીઓએ ચાલાકી વાપરી હતી.મુખ્ય આરોપી રવિકુમારે પોતે નાણાં ન સ્વીકારી, ભુજમાં રહેતા નિવૃત્ત ઇન્સ્પેક્ટર શૈલેષ ચૌહાણને હવાલો આપ્યો હતો. શૈલેષે ત્યારબાદ રાજકોટમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા અક્ષય વાગડીયાને ફોન કરી ફરિયાદી પાસેથી નાણાં ઉઘરાવવાનું કામ સોંપ્યું હતું.
ACBનું છટકું અને ધરપકડ:
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. જે આધારે આજે તા. 30/01/2026 ના રોજ રાજકોટમાં ગીરનાર ટોકીઝ પાસે, બજરંગ ઇમીટેશન નામની દુકાન નજીક છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપી નં. 3 અક્ષય વાગડીયાએ પંચની હાજરીમાં ફરિયાદી પાસેથી રૂ. 45,000 ની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે તેને દબોચી લીધો હતો.
ACBએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ટ્રેપથી સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ટ્રેપ કરનાર અધિકારીઓની વિગત
આ સફળ ઓપરેશન એ.સી.બી. રાજકોટ એકમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું, જેની વિગતો નીચે મુજબ છે:
ટ્રેપિંગ અધિકારી: શ્રી આર. આર. સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર.
સુપર વિઝન અધિકારી: શ્રી જે. ડી.મેવાડા, મદદનીશ નિયામક, એ.સી.બી.રાજકોટ એકમ, રાજકોટ.
ઇન્ચાર્જ અધિકારી: શ્રી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ.
- Advertisement -
- Advertisement -