’26 જીવ વધુ કિંમતી છે કે કરોડોની કમાણી?’ ભારત-પાકિસ્તાન મેચ પર ઓવૈસીએ ફરી ભાજપને ઘેરી

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે એશિયા કપ 2025નો મુકાબલો છે. આ મુદ્દા પર દેશનું રાજકારણ ગરમાયું છે.આરોપ-પ્રત્યારોપ પણ ચરમસીમાએ છે.આવી સ્થિતિમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર આ મેચ અંગે ભાજપ પર આકરા પ્રહારો કર્યા.તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, પહેલગામમાં 26 ભારતીય નાગરિકોની હત્યા કરનાર દેશ (પાકિસ્તાન) સાથે ક્રિકેટ રમવું કેવી રીતે વાજબી હોઈ શકે?
ઓવૈસીએ કહ્યું કે શું ક્રિકેટ મેચમાંથી કરોડો રૂપિયાની કમાણી તે 26 જીવો કરતાં વધુ કિંમતી છે? તેમણે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ પૂછ્યું કે શું તેમની પાસે પાકિસ્તાન સાથેની મેચનો વિરોધ કરવાની અને આ મેચનો ઇનકાર કરવાની તાકાત નથી? પીએમ નરેન્દ્ર મોદીને પણ તીખા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
AIMIMના વડાએ વડાપ્રધાન પર પણ નિશાન સાધ્યું. તેમણે પીએમ મોદીને તેમના જૂના નિવેદનની યાદ અપાવી અને કહ્યું કે પીએમ મોદીએ કહ્યું હતું કે ‘લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી’, ‘સંવાદ અને આતંક એકસાથે ચાલી શકતા નથી’, તો હવે શું બદલાયું છે? તેમણે પૂછ્યું કે બીસીસીઆઈને એક મેચમાંથી 2000-3000 કરોડ મળે છે. પરંતુ શું તે રકમ 26 નાગરિકોના જીવ કરતાં વધુ કિંમતી છે?
કોંગ્રેસ નેતા અભિષેક દત્તે સવાલો ઉઠાવ્યા
કોંગ્રેસ નેતા અભિષેક દત્તે પણ સરકારની ટીકા કરી.તેમણે કહ્યું કે જ્યારે તમે કહો છો કે આતંકવાદ સાથે કોઈ વાતચીત નથી.તો પછી પાકિસ્તાન સાથે મેચ કેવી રીતે રમાઈ રહી છે? તેમણે માંગ કરી કે આ મેચ રદ કરવી જોઈએ.
ભારત-પાકિસ્તાન મેચ પર રાજકારણ
22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. જેના પછી સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાનું વાતાવરણ છે.દેશભરમાં આ મેચ અંગે મિશ્ર લાગણીઓ છે. ઘણા લોકો તેને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામેની લડાઈમાં ખોટો સંદેશ માને છે.
- Advertisement -
- Advertisement -