
ગુજરાતમાં દારૂબંધી છે તે જગજાહેર છે.. પરંતુ અંદરખાને શું ચાલે છે તે બધાને ખબર છે.. ત્યારે હવે રાજ્યના ગૃહ વિભાગનો એક પરિપત્ર ચર્ચામાં આવ્યો છે.. ગૃહ વિભાગે આ વિચિત્ર પરિપત્રમાં કહ્યું છે કે હવે એક લાખનો દેશી દારૂનો જથ્થો અને 2.50 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાય તો જ ક્વોલિટી કેસ ગણવામાં આવશે. એટલે કે તેનાથી ઓછો જથ્થો ઝડપાય તો ક્વોલિટી કેસ નહીં ગણવામાં આવે.. અગાઉ દારૂના કેસમાં 15 હજારનો દેશી દારૂ અને 25 હજારના વિદેશી દારૂનો જથ્થો પકડાય તો જ ક્વોલિટી કેસ ગણવામાં આવતો હતો. આ નિર્ણયથી રાજ્ય પોલીસને ક્વોલિટી કેસમાં ઢીલ અપાઈ હોય તેવું સ્પષ્ટ લાગે છે.
પોલીસને નિર્ણયથી મળી રાહત
અગાઉ 15 હજારનો દેશી દારૂ અને 25 હજારના વિદેશ દારૂનો જથ્થો પકડાવાના કિસ્સામાં જે તે વિસ્તારના પોલિસ અધિકારી અને કર્મચારી સામે ખાતાકીય તપાસ થતી હતી. જે મર્યાદા હવે વધારી દેશી દારૂના કેસમાં એક લાખ રૂપિયા અને વિદેશી દારૂ ઝડપાવાના કેસમાં 2.50 લાખ કરી દેવામાં આવી છે. જેનાથી એક રીતે પોલીસને હવે ખાતાકીય તપાસનો બહુ ડર નહીં રહે. ગુજરાતમાં બેફામ દારૂ વેચાય છે તે બધાને ખબર છે.. દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડે છે.. તેવામાં ગૃહ વિભાગના પરિપત્રથી દારૂબંધીને મુદ્દે કડક પાલન કરાવવાની જગ્યાએ પોલીસને ઢીલ અપાઈ હોવાનું ફલિત થાય છે.

