નેપાળમાં શુક્રવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 માપવામાં આવી હતી . ભૂકંપનું કેન્દ્ર જાજરકોટ જિલ્લામાં જમીનની નીચે 10 કિલોમીટરની ઉંડાઈએ હતું.
પશ્ચિમ નેપાળમાં આવેલા પ્રચંડ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 129 થી વધુ લોકોનાં મોત થયા હતા..સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે. નેપાળના અધિકારીઓએ કહ્યું કે, રૂકુમ પશ્ચિમમાં 36 લોકોનાં મોત થયા છે, જ્યારે જાજરકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા છે. ભૂકંપ બાદ બચાવ દળ બચાવ કામગીરીમાં લાગેલું છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે નેપાળના પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી હતી.
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ભૂકંપના કારણે જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો છે. નેપાળના પીએમઓએ ટ્વીટ કર્યું, વડાપ્રધાન પુષ્પ કમલ દહલે શુક્રવારે રાત્રે 11.47 વાગ્યે જાજરકોટના રામીદાંડામાં આવેલા ભૂકંપના કારણે જાનહાનિ અને મકાનોના નુકસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું..ઘાયલોને તાત્કાલિક બચાવ અને રાહત માટે ત્રણેય સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે.
આંચકા 40 સેકન્ડ સુધી ચાલ્યા
નેપાળના રાષ્ટ્રીય ધરતીકંપ માપન કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપ રાત્રે 11.47 વાગ્યે આવ્યો હતો, તેનું કેન્દ્ર જાજરકોટમાં ભૂગર્ભમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું. ભૂકંપની અસર ભારત અને ચીનમાં પણ જોવા મળી હતી. ભારતમાં પણ લગભગ 40 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

