થરાદના સીધોતરા ગામની મહિલાના કાનમાં સડો થઈ જતા પાલનપુરની જનરલ સિવિલ હોસ્પિટલમાં ત્રણ કલાકની ભારે જેહમત બાદ સફળ ઓપરેશન થયું.
મનુષ્યના શરીરમાં દરેક અંગ મહત્વનું છે. ખાસ કરીને સાંભળવા માટે કાનએ કોમ્યુનિકેશનનું અભિન્ન અંગ ગણવામાં આવે છે. વ્યક્તિ કોઈ પણ ધ્વનિ સંદેશ કે અવાજ સાંભળી તુરંત પ્રતિક્રિયા આપે છે. પરંતુ કાનની તકલીફ હોય અથવા કાનમાં બહેરાશ આવે ત્યારે માણસ તકલીફમાં મુકાઈ જતો હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મૂળ બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના સીધોતરા ગામના ૩૦ વર્ષીય વિમળાબેન ઠાકોરને છેલ્લા ચારેક વર્ષથી કાનની નાજુક બિમારીથી પીડાતા હતા. આ દુઃખને ગંભીરતાથી ના લેતા આખરે કાનમાંથી પંદર દિવસ અગાઉ રસી તેમજ માથાનો દુખાવો થવાનો શરૂ થયો. બેચેની આવવી તેવું વધારે પ્રમાણ થતા નજીકની હોસ્પિટલમાં તપાસ કરાવતા ત્યાંના તબીબોએ સીટીસ્કેન કરાવવાની સલાહ આપી. પરંતુ ગરીબ તેમજ મધ્યમવર્ગીય પરિવાર આર્થિક રીતે પહોંચી વળે એમના હોવાથી પરિવારે બીજા દિવસે આવશું કહી પોતાના ઘરે પરત જતા રહ્યા. તેમને ડોક્ટરોએ અગાઉ આપેલ દવાઓ ચાલુ રાખી પરંતુ કાનનું દુઃખ દૂર થવાનું નામ ના લેતું નહોતું.આખરે થરાદ ખાતે રહેતા જેઓના સ્નેહીજનોના પરિચયમાં આવ્યા બાદ પાલનપુર ખાતે પશુપાલકોની એકમાત્ર જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
પાલનપુરની સિવિલ હોસ્પિટલના તમામ વિભાગોમાં નિ:શુલ્ક સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવે છે. ત્યારે આ બાબતને ધ્યાને રાખી પરિવારજનોએ ગઇ તા. ૧૬ ઓક્ટોમ્બરના રોજ પાલનપુર સિવિલ હોસ્પિટલના ઈ.એન.ટી વિભાગ ખાતે લઈ જવામાં આવ્યા હતા.જેમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનીલભાઈ જોશીના માર્ગદર્શન થકી આ વિભાગના ડૉ. દેવેન્દ્ર જૈન દ્વારા કેશની વિગતો ધ્યાને રાખી જેમાં આખો દિવસ માથું દુખવું, કાનમાંથી રસી આવવી, ચેહરાનો લકવો અને કાનમાં પણ બેહરાશ આવી ગઈ હતી. આ કેશની ગંભીરતાને ધ્યાને લઈ એજ દિવસે સીટી સ્કેન, તેમજ કાનની બેહરાશ હોવાથી ઓડિયોમેટ્રી રીપોર્ટ કરી તાત્કાલીન ઓપરેશન કરવાની ફરજ પડતા વિભાગના ડૉ. હાર્દિકા પટેલ, ડૉ. સાધના યાદવ, ડૉ. શિલ્પા પરમાર, ડૉ. ધર્મેન્દ્ર સોલંકી, ડૉ. રૂપલ ચૌધરી સહિત નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા કાનનો સડો તેમજ ચેહરાની નસ પરનો સડો દુર કરી ચેહરા પરની નસને ખુલ્લી કરવામાં આવી હતી. જેમાં દર્દીના ચેહરા પરનો લકવો પણ સંપૂર્ણ રીતે નીકળી જતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
ત્રણ કલાક જેટલાં સમય સુધી ચાલેલા આ સફળ ઓપરેશનથી મહિલાના ચહેરા ઉપર ખુશી છલકાઈ અને તેમના પરિવારે તબીબો સહિત નર્સિગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારે બનાસકાંઠા જિલ્લાના સાડા પાંચ લાખ પશુપાલકોના આર્થિક સહયોગથી નિર્માણ પામેલી પશુપાલકોની પોતાની માલિકીની એકમાત્ર બનાસ મેડીકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે અત્યંત આધુનિક તબીબી સારવાર આપવામાં મોખરે છે. વધુમાં મેડીકલ કોલેજના ચેરમેનશ્રી પી. જે. ચૌધરીએ જણાવ્યું છે કે, બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તમામ વિભાગોમાં ઉત્કૃષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે.

