વલસાડના પારડી તાલુકાના ડુંગરી ગામા ખાતે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ડુંગરી તળાવને ઉંડુ કરવાના રૂ. 5 લાખના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2023’નો શુભારંભ કરાવ્યો હતો.


આ યોજના અંતર્ગત જિલ્લામાં તળાવ ઉંડા કરવાના અને નદી પુન: જીવિત કરવાના રૂ.14.40 કરોડના કુલ 421 જળ સંચયના કામોનું હાથ ધરાશે. જેમાં રૂ.3.40 કરોડના 71 કામો લોક ભાગીદારીથી, મનરેગા હેઠળ રૂ.2.55 કરોડના 186, ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.6.88 કરોડના 126, વન વિભાગ ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.1 કરોડના 33 અને નગરપાલિકા ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.5.46 લાખના 5 કામો હાથ ધરવામાં આવશે.

કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ યોજનાના માધ્યમથી વલસાડના દરેક તાલુકાઓમાં અનેક જળ સંચયના કામો થયા છે. આગામી દિવસોમાં તળાવો ઊંડા કરવાના, નવા ચેકડેમ અને તળાવ બનાવવાની, ચેકડેમ ડિસીલ્ટિંગ, ચેકડેમ રીપેરીંગ, જળાશય ડિસીલ્ટિંગ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, નહેરોની અને નદી/વોંકળાની સાફસફાઈ, માટીપાળા, ગેબિયન, ચેકવોલ, ખેત તલાવડી, પીવાના પાણીની લાઇનો, વન તલાવડી, નદી કાંઠે વૃક્ષારોપણ, વેસ્ટ વિયર રીપેરીંગ, વગેરે કામો કરવામાં આવશે.

