રવિવારે વાસી ઉત્તરાયણના દિવસે મહેસાણામાં જાહેરમાં વૃદ્ધની હત્યા થઈ હોવની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પતંગ ચગાવવા અને પેચ લગાવવા બાબતે થયેલા ઝઘડામાં માથાભારે પાંચ શખ્સોએ વૃદ્ધ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધનું મોત નીપજ્યું છે. આ મામલે મહેસાણા એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ ઘટનામાં મૃતકના પરિવારના સભ્યો બચાવમાં વચ્ચે પડતા તેમને પણ ઇજાઓ થઈ હોવાનું જણાવાયું છે.
મળતી માહિતી મુજબ મહેસાણામાં આવેલા ઉમાનગરમાં વાસી ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા અને પેચ લડાવવાની બાબતે પાંચ યુવકોએ નાગજીભાઈ વણજારા સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ આ માથાભારે પાંચ લોકોએ ઉશ્કેરાઈને નાગજીભાઈ પર ધોકા-લાકડીઓ અને લોખંડની પાઇપો વડે હુમલો કર્યો હતો, જેમાં નાગજીભાઈ લોહીલુહાણ થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. જોકે ત્યાંના ડોક્ટરોએ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાનું કહ્યું હતું, પરંતુ આ દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો.
આ ઘટનામાં મહેસાણા એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આથી પોલીસે વનરાવન ઠાકોર, હરેશ રાવળ, ચિરાગ રાવળ, બોબી રાવળ અને સુનિલ વ્યાસ વિરુદ્ધ અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ આદરી છે. એવું પણ જાણવા મળ્યું છે કે, આ ઝઘડા દરમિયાન નાગજીભાઈના પરિવારના કેટલાક સભ્ય બચાવમાં વચ્ચે પડ્યા હતા, જેથી તેમને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ઝઘડા દરમિયાન આવેશમાં આવેલા યુવકો પાઈપ લઈને હુમલો કરતા દેખાય છે. આ બનાવ બાદ સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઇ હતી.

